અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપન્ન: મૉં અંબે સૌની મનોકામના પૂરી કરે- કલેકટરશ્રી આનંદ પટેલ

અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપન્ન: મૉં અંબે સૌની મનોકામના પૂરી કરે- કલેકટરશ્રી આનંદ પટેલ
અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનાં હસ્તે ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું વિશષ્ટ સન્માન કરાયું

✍️ ઠાકોરભાઈ ખત્રી

        અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપંન થઇ છે ત્યારે અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલનાં હસ્તે ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિ ઓનું વિશષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, આધશકિતપીઠ અંબાજીમાં દર વર્ષે ૧ કરોડથી વધુ શ્રધ્ધાળુઓ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ અંબાજીમાં પધારે છે. લાખોની સંખ્યામાં માઈભકતો પદયાત્રા કરીને મૉં ના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાનાં ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં મૉં ને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે. જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે. તેમણે કહ્યું કે, હાલમાં  કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે સરકારશ્રીની  માર્ગદર્શક સુચનાઓ મુજબ ભાદરવી પૂનમના સમયગાળામાં તા.૧૫/૯/૨૦૨૧ થી તા . ૨૦/૯/૨૦૨૧ સુધી કોવિડ -૧૯ની ગાઈડલાઈન તેમજ કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તે રીતે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મેળાનાં રૂપે નહી પરંતુ સાદગીથી યાત્રિકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 

           કલેક્ટરશ્રીએ કહ્યું કે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારૂ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વિના મૂલ્ય ભોજન,  ચાચરચોકમાં વધારાના પ્રસાદ કાઉન્ટરો, અંબાજી આવતાં માર્ગો પર અને અંબાજીમાં ટોઈલેટ બ્લોકની વ્યવસ્થા, ચાચરચોકમાં તથા યાત્રાળુઓના માર્ગો પર પ્રાથમિક સારવાર કેન્દ્રો, અંબાજી મંદિર પર અદ્યતન ટેક્નોલોજી યુકત એલ.ઈ.ડી. વોલ એન્ડ કોન્સેપ્યુઅલ ઈન્ટેલીજન્ટ લાઈટીંગ વ્યવસ્થા, યાત્રિકોની સલામતી તેમજ સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે અંબાજી તેમજ ગબ્બર ખાતે સી.સી.ટી.વી. કેમેરા, ડી.કે.સર્કલથી મંદિર પરીસર સુધી LEDની વ્યવસ્થા, વધારાની એસ.ટી. બસો, પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, જુદી - જુદી કુલ -૧૪ જગ્યાઓએ પાર્કિંગ વગેરે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તા .૧૫.૯.૨૦૨૧ થી તા.૨૦.૯.૨૦૨૧ સુધી શકિતપીઠ અંબાજી મંદિરના દર્શનનો સમય સવારે ૦૬:૦૦ થી રાત્રિના ૦૧:૩૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. તેમજ ભાદરવી પૂનમના સમયગાળા દરમ્યાન મૉં અંબાના ભકતો ઘરે બેઠા ઓનલાઈન આરતી દર્શન કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેમાં ૨૦ કરતાં વધુ દેશોમાંથી અંદાજીત ૪૦ લાખ કરતાં વધારે લોકોએ દેવસ્થાન ટ્રસ્ટનાં ઓફીશીયલ ફેસબુક /યુટયુબ, ટવીટર અને વેબસાઈટ મારફતે માતાજીનાં દિવ્યદર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે . 

           કલેક્ટરશ્રીએ કહ્યું કે અંબાજી ખાતે ભાદરવી પૂનમ દરમ્યાન કુલ- ૫૦૦૦ પોલીસ સ્ટાફ તૈનાત રખાયો હતો. વિશ્વ કક્ષાની આધુનિક ઉચ્ચકક્ષાની ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. અદ્યતન ટેકનોલોજી યુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવ્યો  છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતું નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંત૨૨ાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ ક૨તા ઈસમો ઉપર બાઝ નજ૨ રાખવામાં આવે છે. અંબાજીમાં AI ( Artificial Intelligence ) યુક્ત ફેસ રીકોગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ભાદરવી પૂનમ ૨૦૨૧ દરમિયાન સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં ૬૦૦ જેટલાં સફાઈ કામદારો દ્વારા જુદાજુદા ૭ ઝોનમાં સફાઈની કામગીરી કરવામાં આવે છે. 


        ભાદવી પૂનમ -૨૧માં અત્યાર સુધી આશરે ૬ લાખ ઉપરાંતના માઈભકતોએ કોરોનાની ગાઈડલાઈન અનુસરીને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી  છે. આશરે ૨ લાખ ઉપરાંતના યાત્રાળુઓને વિનામૂલ્ય ભોજન સુવિધાનો લાભ લીધો છે તેમ તેમણે જણાવ્યું હતું.

     આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી એસ.ડી. ગીલવા, વહીવટદાર શ્રી  એસ. જે. ચાવડા તેમજ મંદિરનાં  કર્મચારીઓ અને માઈ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"