પવિત્ર અષાઢી બીજે ભરૂચને મળ્યું 'નર્મદામૈયા પુલ' નાં રૂપે નવલું નજરાણું
🔸માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે
કોરોના કાળમાં રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગે ૨૦ હજાર કરોડનાં વિકાસકામો કર્યા
ભરૂચ, અંક્લેશ્વરનાં હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ફોટાઓ, સમાચારપત્રો-ટીવીમાં ચમકતાં, છતાં ભૂતકાળની સરકારનાં પેટનું પાણી ન હલતું
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈનાં ભરોસે ન રહેતાં, સ્વનિર્ભર બની બ્રિજ બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું.
નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું, આવા વિકટ દિવસો હવે ભૂતકાળ થયાં. :-નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ
🔸ભરૂચ- અંક્લેશ્વર રસ્તા પર નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત ફોર લેન 'નર્મદામૈયા પુલ' ને ખુલ્લો મુકતાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ
🔸'એલિવેટેડ કોરિડોર'નું પણ કરાયું લોકાર્પણ:
ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ.૧૪.૫૦ કરોડનાં ખર્ચે ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટ સહિત રૂા.રરર કરોડનાં ખર્ચે નિર્મિત થનાર રસ્તાનાં કામોનું ખાતમુહુર્ત
🔸અમૂલ્ય વિરાસત સમા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની યાદગીરીને જીવંત રખાશે:
ભરૂચઃ 'માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, ભરૂચનો નર્મદામૈયા બ્રિજ એનું જીવંત ઉદાહરણ છે' એમ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય 'નર્મદામૈયા પુલ' તેમજ એલિવેટેડ કોરીડોર'ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અષાઢી બીજનાં પવિત્ર દિને ભરૂચ અને અંક્લેશ્વરનાં નાગરિકો સહિત લાખો વાહનચાલકોને 'નર્મદામૈયા પુલ' નાં રૂપે નવલું નજરાણું મળ્યું છે, સાથોસાથ ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ.૧૪.૫૦ કરોડનાં ખર્ચે બનનાર ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટના કામની તકતી ના અનાવરણ સહિત જિલ્લાનાં વિવિધ તાલુકા વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા.રરર કરોડનાં ખર્ચે ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગોના કામોનું પણ તેમણે ખાતમુહુર્ત કરી ભરૂચ શહેર અને જિલ્લાનાં પ્રજાજનોને માતબર વિકાસકાર્યોની ભેટ ધરી હતી.
ભરૂચના કે.જે.પોલિટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગે ૨૦ હજાર કરોડનાં વિકાસકામો કર્યા છે. ૨૦૧૦ના દાયકાની શરૂઆતમાં કેન્દ્ર સરકારને ભરૂચમાં નર્મદા નદી અને નેશનલ હાઈવે પર નવો બ્રિજ બનાવવાની અવારનવાર સતત રજૂઆત કરી એમ જણાવી એ અરસાને યાદ કરતાં શ્રી પટેલે કહ્યું કે ભરૂચ, અંક્લેશ્વરનાં હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ફોટાઓ સમાચારપત્રો-ટીવીમાં ચમકતાં, છતાં ભૂતકાળની સરકારનાં પેટનું પાણી ન હલતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયની કેન્દ્ર સરકારનાં ભરોસે બેસી ન રહેતાં, સ્વનિર્ભર બની બ્રિજ બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું, ગોલ્ડન બ્રિજની સમાંતરે જ નવો બ્રિજ બનાવવાનું વિચારબીજ રોપાયું અને આજે આ મહત્વાકાંક્ષી બ્રિજ સાકાર થયો છે. આ બ્રિજ બનવાનાં કારણે સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર જતાં લાખો વાહનચાલકો, અંક્લેશ્વરથી ભરૂચ અપડાઉન કરતાં લોકો માટે આશિર્વાદરૂપ બનશે એમ ગર્વથી જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભરૂચને થતાં અન્યાયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભરૂચ શહેર અને નર્મદા નદી એકબીજાંના પર્યાય ગણાય છે, નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું, દરિયાનું ખારું પાણી ભરૂચ ના નસીબમાં આવતું. અનેક પાણી પુરવઠા યોજનાનાં લાભ મળતાં હવે આવા વિકટ દિવસો હવે ભૂતકાળ થયા છે. ભાડભૂત બેરેજ યોજનામાં માછીમારોને દરિયામાંથી બેરેજના મીઠા પાણીનાં સરોવરમાં જવા માટે અલાયદી ચેનલ ઊભી કરી છે. જેથી મત્સ્ય ઉદ્યોગને પણ પરેશાની રહેશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાળવેલી મેડિકલ કોલેજ કાર્યરત થઈ ગઈ હોવાનું અને ભરૂચ શહેર જિલ્લાનાં લોકો સુધી વિકાસનાં ફળો પહોંચે એ આ સરકારની નેમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી નિભાવી એ દિવસોને વાગોળતાં જણાવ્યું કે ભરૂચ સાથે હું દિલથી જોડાયો છું. ભરૂચ પ્રત્યેનાં પ્રેમ અને રાજ્યનાં વિકાસમાં ભરૂચ ના આગવા યોગદાનના કારણે આ જિલ્લો મારો પ્રિય બન્યો છે. એમ જણાવી ઉમેર્યું કે, જંબુસરથી દહેજ સુધીનાં માર્ગને ૬૦ કરોડનાં ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે. ભરૂચ ના ગામડાઓનાં રસ્તાઓ પણ રૂ.૨૨૨ કરોડનાં માતબર ખર્ચથી નિર્માણ તેમજ નવીનીકરણ પામશે.
શ્રી નિતીનભાઈએ પવિત્ર અષાઢી બીજનાં દિવસે પ્રાર્થના કરી નર્મદા મૈયા અને ભગવાન જગન્નાથજીની કૃપા રાજ્યનાં પ્રજાજનો પર અવિરત વરસતી રહે એવી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનાં હસ્તે ભૂમિપૂજન કરાયું હતું, જે આજે વાહનવ્યવહાર માટે ખૂલ્લો મૂકાયો એ આ વિસ્તારની જનતા માટે ગૌરવભરી ક્ષણ છે. પુલ નાં નિર્માણથી સમય, ઈંધણ અને નાણાંની મોટી બચત થશે.
શ્રી પટેલે રૂ.૪૩૫૦ કરોડનાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી પાણીની વિપુલ ઉપલબ્ધી સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે એમ જણાવી આ પ્રકારનાં અનેક વિકાસકામો થી રાજ્ય સરકારે પ્રજાની સુખસુવિધા માં વધારો કર્યો હોવાનું ઉમેર્યું હતું.
સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ અંકલેશ્વરથી રાજપીપલાને જોડતાં માર્ગને રૂ.૧૦૦ કરોડનાં ખર્ચે ફોરલેન બનાવવાની સરકારની મંજૂરી મળી હોવાનું જણાવતાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અદ્યતન બ્રિજ બનવાની ખુશી વ્યક્ત કરી આ વિસ્તારની જનતાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ હોવાનું ગર્વથી કહ્યું હતું.
ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી બ્રિજ સાકાર થવાથી પ્રજાનાં પ્રતિનિધિના રૂપમાં પોતાની પાસે આભાર વ્યક્ત કરવા શબ્દો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આ માર્ગ પર શાળા કોલેજો મોટી સંખ્યામાં હોવાથી અકસ્માત થવાનાં બનાવોને રોકવા બ્રિજની લંબાઈ વધારવા રજુઆત કરી હતી, જેને નાયબ મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ મંજૂર કરી વધુ રૂ. ૮૦ કરોડની ફાળવણી કરીને સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી નવાં બ્રિજની ભેટ આપવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
આનંદનાં આ અવસરે ભરૂચ, અંકલેશ્વર, દહેજ, વાગરા સહિતનાં વિસ્તારોનાં વિવિધ GIDC એસોસિએશનો, હોટેલ એસો., રોટરી ક્લબ સહિતની સંસ્થાઓએ નાયબ મુખ્યમંત્રીશ્રીનું ફુલહાર, મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે પરંપરાગત આદિવાસી નૃત્યોથી નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાથી સ્વાગત કરાયું હતું. સમારોહમાં ભૂદેવોએ નર્મદાષ્ટકનું સુમધુર ગાન કર્યું હતું. કાર્યક્રમનાં અંતે માર્ગ અને મકાન વિભાગનાં અધિક સચિવ શ્રી સંદિપભાઈ વસાવાએ આભાર વિધિ આટોપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસવડા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, જનકભાઈ બગદાણાવાળા,લધુ ભારતીશ્રી બળદેવભાઈ પ્રજાપતિ સહિત માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ, આગેવાન પદાધિકારીઓ, અન્ય અધિકારીગણ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
🔸ગોલ્ડન બ્રિજની સમાંતર નવા નર્મદામૈયા બ્રિજ નાં નિર્માણથી ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ મળશે
ભરૂચ શહેરની બાજુમાંથી વહેતી નર્મદા નદી પર હાલમાં વર્ષ ૧૮૮રની સાલમાં અંગ્રેજોના શાસનમાં નિર્મિત ગોલ્ડનબ્રિજ શહેરની આગવી ઓળખ છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં અન્ય સરદારબ્રિજ, વર્ષ-ર૦૧૭માં નિર્મિત કેબલ સ્ટેયડ બ્રિજ, રેલ્વે લાઈન બ્રિજ આમ કુલ ચાર બ્રિજ આવ્યા છે. ભરૂચ ના સામેના છેડે એશિયા ખંડની સૌથી મોટી જીઆઈડીસી આવી છે. અંકલેશ્વર જવા આવવા માટે આ બ્રિજો પર અત્યંત ટ્રાફિક રહે છે. આ સમસ્યાનાં નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની સમાંતર નવો ફોર લેન પુલ બનાવાયો છે. આ બ્રિજ નાં કાર્યરત થતાં ટ્રાફિક સમસ્યાથી લાખો વાહનચાલકોને મુક્તિ મળશે, સાથે દહેજ અને અંક્લેશ્વર જીઆઇડીસી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાશે. અંકલેશ્વર અને ભરૂચની અનુક્રમે અંદાજિત ૩,૧પ,પ૯૬ અને ૪,પર,પ૧૭ વસ્તીને યાતયાતનો સીધો લાભ થશે.
નવનિર્મિત નર્મદામૈયા પુલની વિશેષતા
નર્મદામૈયા પુલમાં ૫૮.૫૦ મીટરના ૨૫ સ્પાન બંને બાજુ ૧.૫૦ મીટરના ફૂટપાથ તેમજ અંક્લેશ્વર તરફનાં એપ્રોચ પર ૧૭૦૦ મીટર લાંબી રેઈનફોર્સેડ દિવાલ બનાવવામાં આવી છે. ચાર માર્ગીય પુલની લંબાઇ ૧૪૬ર મીટર તથા ર૦.૮૦ મીટર પહોળાઈ, એપ્રોચની લંબાઇ - ર૧૩૧ મીટર, એલિવેટેડ કોરિડોરની લંબાઇ/પહોળાઈ - ૧૪૦૭ મીટરનો ૧૭.ર૦ મીટર પહોળાઈ ચાર માર્ગીય કોરીડોર, જયારે રેમ્પમાં અપ રેમ્પ - ર૪૦ મીટર (શીતલ ગેસ્ટ હાઉસ પાસે), ડાઉન રેપ- ર૬૮ મીટર (રેલ્વે સ્ટેશન પાસે) સુપર સ્ટ્રકચર - ફીશ બેલી શેપ પી.એસ.સી બોકસ ગર્ડર, સર્વિસ રોડ – ૧પપ૦ મીટર લંબાઈ તથા ૭.૦૦ મીટર પહોળાઈ અને એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ - રર૮ નંગ નાખવામાં આવી છે.
રૂા.રરર કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગો, બોક્ષ કલવર્ટથી યાતાયાતની સુવિધામાં થશે વધારો
ભરૂચ જિલ્લામાં જુનાં નેશનલ હાઈવે નં. ૮ના ૧૯૮ થી ૧૯૯ કિમી વચ્ચે આવેલ ૪૦ વર્ષ જુનાં ઓ.એન.જી.સી. બ્રિજ ભરૂચ, અંકલેશ્વર, ટ્વીન સિટી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ને જોડતો અગત્યનો બ્રિજ છે. પરંતુ આ બ્રિજને કારણે ટ્રાફિકનું ભારણ તથા બોટલ નેક જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નવા ૩ માર્ગીય ૨ આર.સી.સી. ટ્વીન બોક્સ સેલ બનતા સરળતાથી ટ્રાફિક પસાર થશે, જેનાં કારણે સમય અને ઈંધણમાં બચત થશે.
રિપોર્ટ: મનિષ કંસારા, ભરૂચ.


Comments
Post a Comment